રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહિલા રેસલર સાક્ષી મલિકે એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હું કુસ્તીમાંથી સંન્યાસ લઈ રહી છું. WFI ચૂંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિ જીત્યા છે. બીજી તરફ રેસલર બજરંગ પૂનિયાએ કહ્યું કે ખેલમંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત ફેડરેશનમાં કોઈ આવશે નહીં, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. 

બજરંગ પૂનિયાએ વધુમાં કહ્યું, આજની ચુંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિની જીત થઇ છે. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે કે તે ન્યાય કરશે. મને લાગે છે  કે પીઢીઓ ન્યાય માટે લડતી રહેશે. સરકારે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં તે વિફળ રહી છે.

સન્યાસની જાહેરાત બાદ વિનેશ ફોગાટ થઇ ભાવુક

સાક્ષી મલિકના કુશ્તીથી સન્યાસની જાહેરાત બાદ વિનેશ ફોગાટ ભાવુક થઇ ગઈ હતી. તેણે કહ્યું, ‘આ ખરેખર ખુબ જ દુખની વાત છે કે અમે લડવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીત ન મળી શકી. મને નથી ખબર કે ન્યાય કેવી રીતે મળશે, અમે ન્યાય માટે અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. હું યુવા ખેલાડીઓને અન્યાયનો સામનો કરવા તૈયાર રહેવા કહેવા માંગુ છું. કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે.

અનિતા શિયોરાનને હરાવી સંજય સિંહ બન્યા WFIના નવા અધ્યક્ષ

જણાવી દઈએ કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ સંજય સિંહ બન્યા છે. તે ભાજપ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર છે. સંજય સિંહે આજે ચુંટણીમાં પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી. કુલ 47 લોકોએ વોટિંગ કર્યું હતું. જેમાંથી સંજય સિંહને 40 વોટ મળ્યા હતા. અનિતાને માત્ર 7 વોટ જ મળ્યા હતા. 

આ દિગ્ગજ રેસલરોએ દિલ્હીના જંતરમંતર પર બ્રિજભૂષણ શરણનો વિરોધ પણ કર્યો

અનિતા શિયોરાનને બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત દેશના દિગ્ગજ રેસલરનું સમર્થન મળ્યું હતું. તેઓએ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલરનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દિગ્ગજ રેસલરોએ દિલ્હીના જંતરમંતર પર બ્રિજભૂષણ શરણનો વિરોધ પણ કર્યો હતો. તેમણે માંગણી કરી હતી કે બ્રિજભૂષણના પરિવાર કે તેમના કોઈ સહયોગીને ચૂંટણી લડવા દેવી જોઈએ નહીં.