PAN-Aadhar Linking:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં મોડું કરનારાઓ પાસેથી કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 2,125 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલી છે. મફત પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 હતી. ત્યારપછી જેમણે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું છે તેમને 1,000 રૂપિયાનો દંડ ભરવાનો થયો છે. આ બાબતે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2023 પછી, જેમણે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું છે તેવા કુલ 2.125 કરોડ લોકો પાસેથી 2,125 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી છે.

2,125 કરોડ રૂપિયાની રકમ સરકાર દ્વારા વસુલવામાં આવી 

નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી 54,67,74,649 પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે કોઈ પણ પાન કાર્ડ ડીએક્ટીવેટ કરવામાં આવ્યું નથી. જો પાનને આધાર સાથે લિંક ન કરવામાં આવે તો માત્ર પાનકાર્ડ જ નિષ્ક્રિય થયા  છે. 1 જુલાઈ, 2023 થી 30 નવેમ્બર, 2023 સુધીમાં, 2.125 કરોડ લોકોએ 1,000 રૂપિયાની પેનલ્ટી ચૂકવીને પાનકાર્ડને -આધાર સાથે લિંક કર્યું છે. તેમણે કહ્યું કે આ દ્વારા સરકારે 2,125 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી છે.

પાન-આધાર લિંક કરવા પર કોઈ રિફંડ નહીં

પાનકાર્ડને આધાર સાથે લિંક ન કરવાને કારણે પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જાય પછી કરદાતાને કોઈ ટેક્સ રિફંડ ચૂકવવામાં આવતું નથી. તેમજ આ સમયગાળામાં રિફંડ પર કોઈ વ્યાજ પણ ચુકવવામાં આવતું નથી. તેમજ તેમની પાસેથી ટેક્સ ઊંચાદરે વસુલવામાં આવે છે. આપેલા સમય મર્યાદામાં અત્યાર સુધીમાં માત્ર 60 કરોડ પાન કાર્ડ ધારકોએ જ પાન-આધાર લિંક કર્યું છે, જેમાંથી 2.125 કરોડ લોકોએ દંડ ભરીને તેને લિંક કરાવ્યું છે.